ગુજરાતથી દરરોજ એસી વૉલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે
3 રાત્રિ/4 દિવસનું પ્રતિ વ્યક્તિ પૅકેજ માત્ર રૂ. 8100/-
ગાંધીનગર, 24 જાન્યુઆરી : હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે કે જે 144 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. આ અવસરે શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા ગુજરાત સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ માટે એસી વૉલ્વો બસનું સંચાલન કરવાની અનોખી પહેલ કરી છે.
ગુજરાતના શ્રધ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે જઈ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે; તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંયુકત રીતે એક હકારાત્મક નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વૉલ્વો બસ પ્રયાગરાજ તરફ ઉપાડવાનો નિર્ણય લઈ શ્રધ્ધાળુ માટે રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનૉમી પૅકેજ તૈયાર કરવામાં આવ્યુ છે.
આગામી 27મી જાન્યુઆરી સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યાર બાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણિપ એસ.ટી. ડેપો, અમદાવાદ ખાતેથી એસી વૉલ્વો બસ પ્રયાગરાજ જવા રવાના થશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (એસટી) નિગમ (જીએસઆરટીસી) અને પ્રવાસન નિગમે માત્ર રૂ. 8100માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ/4 દિવસનું પૅકેજ ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે તૈયાર કર્યુ છે.
આ પૅકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરાયે છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પૅવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
પ્રયાગરાજ પૅકેજનું ઓનલાઇન બુકિંગ 2૫/01/202૫થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.