Monday, June 23, 2025
HomeMAIN NEWSGUJARAT GROUNDવડોદરાની એક એવી દુકાન, જેમાંથી થતો નફો સમાજસેવા માટે ગાંધીજીને મોકલાતો હતો

વડોદરાની એક એવી દુકાન, જેમાંથી થતો નફો સમાજસેવા માટે ગાંધીજીને મોકલાતો હતો

Share:

વડોદરાના રાવપુરામાં હાલમાં પણ કાર્યરત ભારત ઉદ્યોગ હાટનું ઉદ્દઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું

વિદેશી વસ્ત્રોની હોળી કરવાના ગાંધીજીના આહ્વાન બાદ સ્વદેશી ખાદી ખરીદવા આ દુકાનમાં લાંબી કતારો લાગી હતી

દુકાન માલિક છોટુલાલ મહેતા સંપૂર્ણપણ સમાજસેવામાં જોડાઇ ગયા બાદ તેમના પુત્રના લગ્ન રવિશંકર મહારાજે કરાવ્યા અને ગાંધીજીએ ગોળ ખવડાવ્યો

આલેખન – દર્શન ત્રિવેદી

તમને જાણીને વિસ્મય થશે કે, વડોદરા શહેરમાં એક એવી દુકાન હજું પણ કાર્યરત છે, જેના માલિકો પોતાનો ઘરખર્ચ કાઢી બાકીનો નફો ગાંધીજીને મોકલતા હતા. આ દુકાન વડોદરાની પ્રથમ ખાનગી ખાદી વિક્રેતા હતી. શહેરના રાવપુરા પાસે આવેલી આ ભારત ઉદ્યોગ હાટ નામની દુકાન દેશની ખાદી પ્રત્યેની લાગણી અને આઝાદી માટે દેશજનોના લગાવની સાક્ષી પૂરે છે. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનના અવસરે ભારત ઉદ્યોગ હાટની વાત જાણવી સૌને ગમશે.

અંગ્રેજો સામેની આઝાદી ચળવળમાં મહાત્મા ગાંધીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની હાકલ કરી હતી. તેનાથી પ્રેરાઇને વડોદરામાં છોટાલાલ વસંતજી મહેતા અને તેમના બે પુત્રો ધીરજલાલ અને સુમનચંદ્રએ ૧૯૩૦-૩૨ના સમયગાળામાં ખાદીનું વેચાણ શરૂ કર્યું. બાદમાં ૧૯૩૭માં હાલમાં રાવપુરામાં છે, એ દુકાનનો પ્રારંભ કર્યો હતો. આ દુકાનનું ઉદ્દઘાટન કરવા માટે રવિશંકર મહારાજ પોતે આવ્યા હતા. એ સમયે વાજબી ભાવે સ્વદેશી ખાદી માટે આ દુકાનની બોલબાલા હતી.

એવામાં વર્ષ ૧૯૪૨માં ગાંધીજીએ આપેલા આહ્વાનને પગલે ઠેરઠેર વિદેશી વસ્ત્રો અને વસ્તુઓની હોળી થવા લાગી ત્યારે, વડોદરામાં ભારત ઉદ્યોગ હાટમાં ખાદી ખરીદવા માટે લાઇનો લાગી હતી. વોલમાર્ટમાં બ્લેક ફ્રાઇડે સેલમાં ખરીદી માટે ગ્રાહકોની કતારો લાગે એવી રીતે ૧૯૪૨માં આ દુકાનમાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. ત્યારે એક ગ્રાહકને માત્ર ત્રણ મિટર કાપડ આપવું, એવો નિયમ કરવો પડ્યો હતો.

છોટાલાલ મહેતાએ બાદમાં પોતાનું જીવન સમાજસેવામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો અને ગાંધીજી સાથે ચાલ્યા હતા. તેમના મોટા પુત્ર ધીરજલાલ મહેતા માટે કન્યા શોધવાનું કામ પણ રવિશંકર મહારાજે કર્યું. સૌરાષ્ટ્રના જેતપુરના પ્રભાબેન સાથે વેવિશાળ કરાવી રવિશંકર મહારાજે બારડોલી ખાતે લગ્નની વિધિ પણ પોતે કરી હતી. ગાંધીજી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગોળ ખવડાવી સૌના મ્હોં મીઠા કરાવ્યા હતા. આવા સંસ્મરણો છોટાલાલના પ્રપોત્રો ૭૧ વર્ષીય શ્રી પુલકિત મહેતા અને ૬૩ વર્ષીય શ્રી સંજય મહેતા વાગોળે અને કહે છે કે, બાદમાં ગાંધીજી સહિત અનેક મહાનુભાવો અવારનવાર ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લેતા રહ્યા હતા.

મહેતા પરિવારે આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપવા માટે અનેક અનોખો નિર્ણય કર્યો. ભારત ઉદ્યોગ હાટમાંથી થતી આવકમાંથી પોતાના ઘરખર્ચનો ભાગ કાઢી બાકીની રકમ ગાંધીજીને અથવા તે કહે તે આશ્રમને મોકલી આપવામાં આવી હતી. લગભગ એક દાયકા સુધી આવકનો ભાગ આ રીતે મોકલવામાં આવ્યો. ગાંધીજી સાથે આ બાબતે પત્ર વ્યવહાર પણ થતો હતો.

વડોદરા શહેરમાં પુલકિતભાઇ અને સંજયભાઇ આજે પણ આ દુકાન ચલાવે છે. એ દુકાન કોઇ પણ પ્રકારનું રિનોવેશન કરવામાં આવ્યું નથી. જે સ્થિતિમાં હતી, એ જ સ્થિતિમાં અત્યારે ભારત હાટ કાર્યરત છે. વિવિધ પ્રકારની ખાદી સાથે ગરમ વસ્ત્રોનું વેચાણ કરે છે. ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લો તો તમને જૂના જમાનામાં દુકાનો કેવી હતી, એનો ખ્યાલ આવશે.

Also Read : Gandhi Special: 4 बार नाम की घोषणा के बावजूद आखिर क्यों नहीं मिला विश्व अहिंसक को नोबल शांति पुरस्कार ?

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches