વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત માતૃવન વનકવચ નિર્માણનો ગાંધીનગરના સચિવાલય સંકુલ પ્રાંગણમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો.
સમગ્ર સચિવાલય પરિસરમાં 16 હજાર વૃક્ષોના વાવેતરથી માતૃવન વનકવચ બનાવવામાં આવશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર્યાવરણ સુરક્ષા સાથેના વિકાસનો વિચાર ધરાતલ પર ઉતારવાના અને ભવિષ્યના પડકારોના સામના માટે અત્યારથી જ સજ્જતાના સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
:: મુખ્યમંત્રીશ્રી ::
- વડાપ્રધાનશ્રીએ પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્તિ અને મિશન લાઈફ દ્વારા રોજબરોજના જીવનમાં પર્યાવરણ રક્ષાની પ્રેરણા આપી છે.
- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વેપાર-ઉદ્યોગોને પર્યાવરણ જાળવણી સાથે સાંકળીને પર્યાવરણ સંચયની દિશા આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 પાંચમી જૂને ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પટાંગણમાં માતૃવન વનકવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2024ના વિશ્વ પર્યાવણ દિવસે દેશવાસીઓને ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે આ અભિયાનમાં 17.48 કરોડ રોપાઓના વાવેતર સાથે દેશભરમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી ‘એક પેડ મા કે નામ 2.0’ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ અભિયાનનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યમાં આવનારા પર્યાવરણના પડકારોના નિવારણનું આગવું વિઝન પર્યાવરણ સુરક્ષા સાથેના વિકાસને ધરાતલ પર ઉતારવાના સંકલ્પો સાથે આપણને આપ્યું છે.
તેમણે ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનને વેગવાન બનાવીને દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનમાં જોડ્યા છે અને આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી ‘પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત ભારત-ગુજરાત’ની પ્રેરણા આપી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન અન્વયે સચિવાલય સંકુલમાં સિંદૂરના 200 રોપાઓ સાથે 4 હજાર રોપાઓના માતૃવન વનકવચનો વૃક્ષારોપણથી પ્રારંભ કર્યો છે. સમગ્ર સચિવાલય સંકુલ પરિસરમાં વન વિભાગના સહયોગથી 16 હજાર જેટલા વૃક્ષો સાથેનું માતૃવન વન કવચ બનાવવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ મિશન લાઈફ અંતર્ગત આપણા રોજબરોજના જીવનમાં પર્યાવરણ જાળવણીના ઉપાયો અપનાવીને પર્યાવરણના જતન-સંવર્ધન માટેનો પર્યાવરણ પ્રિય વિચાર આપ્યો છે.
એટલું જ નહિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વેપાર-ઉદ્યોગોને પર્યાવરણ સાથે સાંકળીને વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ સંચય અને પ્રકૃતિરક્ષાના આપેલા વિચારને અનુસરવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પ દરેક અભિયાનની જેમ ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાનમાં પણ લીડ લેશે તેવો વિશ્વાસ કરતા સૌ નાગરિકોને જેમ બને તેમ ગ્રીન કવર વધારવામાં સહયોગી થવા વિશ્વ પર્યાવરણ દિવસે સંકલ્પ લેવાની અપીલ કરી હતી.
આ માતૃવન વનકવચના નિર્માણ માટે રોપા વાવેતરના અવસરે વન રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર અને અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રીઓ, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા સચિવાલયના વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ સહભાગી થયા હતા.