ટપાલ વિભાગ દ્વારા ગંગાજળ પણ ઘેર બેઠા મંગાવી શકાય છે.
અમદાવાદ, 25 ફેબ્રુઆરી : મહાશિવરાત્રિ પર્વે શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી. તેમના માટે ટપાલ વિભાગે નવીન પહેલ કરી છે, જેના થકી હવે ભક્તોને નિરાશ થવાની જરૂર નહીં પડે.
ટપાલ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા નાગરિકો દેશના કોઈ પણ ખૂણામાં ગુજરાતના શ્રી સોમનાથ મંદિર, વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે છે.
ટપાલ વિભાગના ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આ માહિતી આપતા જણાવ્યુ કે મહાશિવરાત્રિ પર પોસ્ટ ઑફિસમાંથી ગંગાજળ મંગાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ૨૫૦ મિલીલીટર ગંગાજળની બોટલ ફક્ત 30 રૂપિયામાં મેળવી શકાય છે.
યાદવે જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારતીય ટપાલ વિભાગ સાથે ભક્તોને તેમના ઘરે પ્રસાદ પહોંચાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ કોઈ પણ ભક્ત ₹270 નો ઈ-મની ઑર્ડર ‘મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત- 362268’ને મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મની ઑર્ડર પર “પ્રસાદ માટે બુકિંગ” લખેલું હોવું જોઈએ. ત્યારબાદ, શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનું 400 ગ્રામનું પૅકેટ મોકલશે. આ પ્રસાદમાં 200 ગ્રામ મગસના લાડુ, 100 ગ્રામ તલની ચીક્કી અને 100 ગ્રામ માવા ચીક્કી હશે.
શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ પણ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા દેશભરના લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ફક્ત ₹251 નો ઈ-મની ઓર્ડર ‘સીનિયર સુપરિન્ટેન્ડેન્ટ, પોસ્ટ ઑફિસ, વારાણસી (પૂર્વ) ડિવીઝન- 221001’ના નામે મોકલવાનો રહેશે. ઈ-મની ઓર્ડર મળ્યા પછી પોસ્ટલ વિભાગ દ્વારા તરત જ સ્પીડ પોસ્ટ દ્વારા આપેલા સરનામે પ્રસાદ મોકલવામાં આવશે.

ભારતીય ટપાલ સેવાના વરિષ્ઠ અધિકારી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુંજય યંત્ર, શ્રી શિવ ચાલીસા, 108 દાણાની રુદ્રાક્ષ માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા માંગતા ભોલે બાબાની છબી ધરાવતો સિક્કો, ભભૂતિ, રક્ષાસૂત્ર, રુદ્રાક્ષ મણકા, મેવા, સાકરનું પૅકેટ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે ઉજ્જૈનના પ્રખ્યાત શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ પણ પોસ્ટ દ્વારા મંગાવી શકાય છે. આ માટે ‘મેનેજેર, સ્પીડ પોસ્ટ સેન્ટર, ઉજ્જૈન’ને ₹251નો ઈ-મની ઑર્ડર મોકલવાનો રહેશે અને બદલામાં ત્યાંથી સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવશે. આ પ્રસાદમાં 200 ગ્રામ લાડુ, ભભૂતિ અને ભગવાન શ્રી મહાકાલેશ્વરજીની છબીનો સમાવેશ થાય છે.
પોસ્ટ વિભાગે એવી પણ વ્યવસ્થા કરી છે કે શ્રદ્ધાળુઓને સ્પીડ પોસ્ટની વિગતો તેમના મોબાઇલ નંબર પર SMS દ્વારા મળી રહે. આ માટે ભક્તોએ ઈ-મની ઑર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઇલ નંબર લખવો ફરજિયાત રહેશે.