Thursday, June 5, 2025
HomeBBN-EXCLUSIVEપીએમ સ્વનિધિ યોજનાના 5 વર્ષ: ગુજરાત અમલીકરણમાં અગ્રેસર, 2024માં 4.79 લાખ વિક્રેતાઓને...

પીએમ સ્વનિધિ યોજનાના 5 વર્ષ: ગુજરાત અમલીકરણમાં અગ્રેસર, 2024માં 4.79 લાખ વિક્રેતાઓને સશક્ત બનાવ્યા

Share:

નવેમ્બર 2024માં 5.20 લાખના સંશોધિત લક્ષ્યાંકના 92.14% હાંસલ કરીને ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે રહ્યું

ગુજરાતને ભારત સરકાર તરફથી મળી ₹30.47 કરોડની વ્યાજ સબસિડી

ડિજિટલ વ્યવહારો દ્વારા વિક્રેતાઓને મળ્યું ₹15.87 કરોડનું કૅશબૅક

ગાંધીનગર, 1 જૂન: ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ- પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાનો અને તેમને પરંપરાગત નાણાંકીય વ્યવસ્થામાં એકીકૃત કરવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં વિક્રેતાઓ માટે લોન વિતરણ સરળ બને, તેઓ ડિજિટલ માધ્યમ સાથે જોડાય અને તેમને નિયમિત સહાય મળે એ સુનિશ્ચિત કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના શેરી વિક્રેતાઓ અને નાના વ્યવસાયોને સશક્ત બનાવવા માટે 1 જૂન, 2020ના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જૂન 2025માં આ યોજનાને પાંચ વર્ષ પૂર્ણ થશે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે શેરી વિક્રેતાઓના સશક્તિકરણ અને સમાવિષ્ટ આર્થિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાતમાં કુલ 4,79,141 શેરી વિક્રેતાઓએ મેળવ્યો પીએમ સ્વનિધિ યોજનાનો લાભ

પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. રાજ્યએ જુલાઈ 2023માં 3 લાખ લોનનો પ્રથમ લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ ઑક્ટોબર 2024માં 4 લાખ લોનનો બીજો લક્ષ્યાંક પાર કરીને આ ઉત્કૃષ્ટ પ્રયાસો માટે રાષ્ટ્રીય સ્તરે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતની અસાધારણ પ્રગતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવેમ્બર 2024માં લોનનો લક્ષ્યાંક વધારીને 5.20 લાખ કર્યો હતો. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત આ સંશોધિત લક્ષ્યના 92.14% હાંસલ કરી ચૂક્યું છે અને આ બાબતમાં તે ચોથા ક્રમે છે. અત્યારસુધીમાં, કુલ 4,79,141 શેરી વિક્રેતાઓએ કાર્યકારી મૂડી લોન અને જરૂરી માર્ગદર્શન દ્વારા આ યોજનાનો લાભ મેળવ્યો છે, જેથી તેમની આજીવિકાની સાથે આર્થિક સ્થિરતામાં પણ વધારો થયો છે. આ નાણાંકીય સમાવેશ અને શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાની તેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

લોન વિતરણથી વિક્રેતાઓ સશક્ત બન્યા, નાના પાયાના વ્યવસાયોમાં વૃદ્ધિ થઈ

ભારત સરકારે 100% કેન્દ્રીય હિસ્સાની જોગવાઈ હેઠળ ગુજરાતને વ્યાજ સબસિડીમાં ₹30.47 કરોડની સહાય આપીને આ યોજના માટે સંપૂર્ણ ભંડોળ પૂરું પાડ્યું છે. આ નાણાંકીય સહાયથી વિક્રેતાઓ પર ચૂકવણીનો બોજ હળવો થયો છે, જેના કારણે વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે. ગુજરાતમાં 4.79 લાખથી વધુ વિક્રેતાઓને લોનનો પ્રથમ હપ્તો, 1.71 લાખને બીજો હપ્તો અને 42,176 વિક્રેતાઓને ત્રીજો હપ્તો મળ્યો છે. આ આંકડા નાના પાયાના વ્યવસાયો અને સ્વરોજગારીમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. ગુજરાત સરકારે શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, લક્ષિત વિતરણ શિબિરો, ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને તમામ શેરી વિક્રેતાઓ માટે સમયસર લોન વિતરણ અને નાણાંકીય સમાવેશ સુનિશ્ચિત કરવા માટે નાણાંકીય સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે.

શેરી વિક્રેતાઓ માટે ડિજિટલ અને નાણાંકીય સમાવેશને પ્રોત્સાહન આપી રહ્યું છે ગુજરાત

ગુજરાતે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓ માટે ડિજિટલ સમાવેશ અને નાણાંકીય સાક્ષરતા પર ભાર મૂક્યો છે. રાજ્ય નિયમિતપણે ડિજિટલ સાક્ષરતા શિબિરોનું આયોજન કરે છે, વિક્રેતાઓને રિઅલ-ટાઇમ ચૂકવણી પ્રણાલીઓથી પરિચિત કરાવવા માટે નાના વ્યવહારોનો ઉપયોગ કરે છે, અને વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિતરણ શિબિરોનું આયોજન કરે છે. આ પહેલ સરળ ઓનબોર્ડિંગ અને લાભોની સમયસર પહોંચની ખાતરી આપે છે. આ ઉપરાંત, રાજ્ય સ્તરીય બૅન્કર્સ સમિતિ (SLBC) અને વિવિધ નાણાંકીય સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગથી ગુજરાતની સફળતાને સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવાર અને શનિવારે લોન વિતરણ કરવામાં આવે છે, જે શેરી વિક્રેતાઓ માટે લોનની ઝડપી પહોંચ સુનિશ્ચિત કરે છે. તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)માં ખાસ ઝુંબેશ અને ઓનબોર્ડિંગ પ્રયાસો કોઈ વિક્રેતા પાછળ ન રહે, તેનું વ્યાપક કવરેજ મળે અને સમાવેશ સરળ બને એ સુનિશ્ચિત કરે છે. પરિણામે, અત્યારસુધીમાં વિક્રેતાઓને ડિજિટલ વ્યવહારો દ્વારા કુલ ₹15.87 કરોડનું કૅશબૅક પણ મળ્યું છે.

શેરી વિક્રેતાઓનું સશક્તિકરણ: પીએમ સ્વનિધિ હેઠળ સમાવિષ્ટ વિકાસ માટે ગુજરાતનું મૉડેલ

પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગુજરાતની અસાધારણ સફળતા એ શેરી વિક્રેતાઓ અને તેમના સશક્તિકરણ પ્રત્યે રાજ્યની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ગુજરાત સરકારે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને, નાણાંકીય સેવાઓની સુલભતામાં સુધારો કરીને અને મહત્વપૂર્ણ સહયોગીઓ સાથે ભાગીદારી કરીને હજારો શેરી વિક્રેતાઓને સફળ થવામાં મદદ કરી છે. રાજ્ય આ પ્રતિબદ્ધતાને આગળ વધારતાં વધુ લોકો સુધી અસરકારક રીતે લાભો પહોંચાડવાનો અને દરેક વિક્રેતાને આર્થિક રીતે સ્થિર બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ પ્રયાસો દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે ઉદાહરણ સ્થાપિત કર્યું છે કે, રાજ્ય સ્તરના પ્રયાસો કેવી રીતે જીવનમાં પરિવર્તન લાવી શકે છે, સમુદાયોને ટેકો આપી શકે છે અને અર્થતંત્રને પાયાના સ્તરે વેગ આપી શકે છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches