Friday, June 20, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધીમી ગતિની સાઇકલ બની 'બ્લડ એક્સપ્રેસ'

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધીમી ગતિની સાઇકલ બની ‘બ્લડ એક્સપ્રેસ’

Share:

ધીમી ગતિએ સાઇકલ જ્યારે એક્સપ્રેસ બનીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રક્તની ઝડપી આપ લે માટે ઉપયોગમાં લેવામાં આવે તો તે અચરજ પમાડે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈ.એચ.બી.ટી.(Immunohaematology & Blood Transfusion) વિભાગ દ્વારા સાઇકલનો આવો જ એક અનોખો પ્રયોગ કરી ‘બ્લડ એક્સપ્રેસ’ શરૂ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં આવેલ બ્લડ બૅન્કને નવીન ઈમારતમાં ખસેડવામાં આવતા, જૂની ઈમારતમાંથી નવી ઈમારતમાં બ્લડ બૅન્કને ખસેડવામાં આવી છે. આ બ્લડ બૅન્કમાંથી રક્તને સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પહોંચાડવા માટે એપ્રિલ, 2025થી સાઇકલનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સર્જરી વિભાગ, મેડિસિન વિભાગ, ઈમર્જન્સી વિભાગ અને ટ્રોમા સેન્ટરમાં હંમેશા રક્તની જરૂર પડતી હોય છે. જેમ કે, ઈમરજન્સી સમયે, ઓપરેશન સમયે, દર્દીને લોહીની જરૂરિયાત રહેતી હોય છે અને તે જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ દ્વારા બ્લડ બૅન્ક પાસે રક્ત મંગાવવામાં આવે છે. બ્લડ બૅન્ક દ્વારા હંમેશા જરૂરિયાત પ્રમાણે રક્તના જથ્થાને જાળવી રાખવામાં આવે છે જેથી હોસ્પિટલમાં રક્તની ક્યારેય પણ અછત ઉભી થતી નથી. સિવિલ હોસ્પિટલની બ્લડ બૅન્ક હંમેશા ઈમરજન્સી માટે તૈયાર રહે છે.

આ આગોતરી તૈયારીના ભાગરૂપે જ સિવિલ હોસ્પિટલ એક ‘બ્લડ બૅન્ક ડેડિકેટેડ સોફ્ટવેર’ થકી કામ કરે છે. સિવિલ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા વેબ પોર્ટલમાં જે વિભાગને રક્તની જરૂર હોય તે વિભાગ દ્વારા અથવા તે વિભાગના ડૉક્ટર દ્વારા દર્દીનો ફોટો, કેસ પેપર, આઈડી, તેની વિગતો, તેને જરૂરી હોય તે પ્રકારના રક્તની વિગતો આ સોફ્ટવેર ઉપર મૂકી આ વિગતો SMS અને વૉટ્સએપના માધ્યમથી પણ બ્લડ બૅન્કને મોકલવામાં આવે છે જેથી દર્દીને રક્ત આપવામાં ભૂલચૂકને કોઈ સ્થાન રહે નહીં. દર્દીના સંબંધીઓને બ્લડ બૅન્કથી શરૂ થતી ‘બ્લડ સપ્લાય ચેઈન’માં કોઈપણ જગ્યાએ સામેલ કરવામાં આવતા નથી અને રક્ત આપતા પહેલા પણ દર્દીની બધી વિગતોની ફરીથી ચકાસણી કરવામાં આવે છે. આ બ્લડ બૅન્કની કાર્યપ્રણાલી માટે સિવિલ હોસ્પિટલના આઈ.એચ.બી.ટી. વિભાગ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

આઈ.એચ.બી.ટી. વિભાગના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર શ્રી સંજય કાપડિયાએ કહે છે કે, “આજના સમયમાં વાહન વ્યવહારમાં સાઇકલનું ચલણ ઓછું થાય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં સાઇકલ પર ચાલતી બ્લડ એક્સપ્રેસ ઝડપથી રક્ત પહોંચાડીને દર્દીઓની સારવારમાં મદદરૂપ થાય છે.”

બ્લડ એક્સપ્રેસ શરૂ થયા અગાઉ સિવિલ હોસ્પિટલ બ્લડ બૅન્કમાંથી રક્ત લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ઘણો સમય વ્યર્થ થતો હતો. સમયના આ વેડફાટને બચાવી શકાય તે માટે આ બ્લડ એક્સપ્રેસ દ્વારા બ્લડ બૅન્કમાંથી રક્તને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અલગ અલગ જગ્યાએ પહોંચાડવા માટે 14 જેટલા રનર્સ કે એટેન્ડન્ટ હાલમાં કાર્યરત છે. આ રનર્સ સાઇકલની મદદથી યોગ્ય દર્દીને, યોગ્ય સમયે, યોગ્ય રક્ત પહોંચાડે છે. સમયને અનુરૂપ આ રનર્સ દ્વારા યોગ્ય એક્શન લેવામાં આવે છે. જો ઈમરજન્સી હોય તો રનર દ્વારા તે ઈમરજન્સી પ્રમાણે એક્શન લેવામાં આવે છે. બ્લડ બૅન્ક દ્વારા દર્દીની બધી વિગતોની યોગ્ય ચકાસણી કરીને પછી જ રક્ત આપવામાં આવે છે.

બ્લડ બૅન્ક દ્વારા બ્લડ એક્સપ્રેસમાં રક્ત આપતી વખતે યોગ્ય ‘કોલ્ડ ચેઈન’ જાળવી શકાય તે માટે સાઇકલ પર જતા રનર્સને ત્યારે જ બોલાવવામાં આવે છે જ્યારે દર્દીના રિપોર્ટ, આઈડી, કેસ પેપર જેવી બધી વિગતો યોગ્ય રીતે તપાસી લેવામાં આવે છે. બ્લડ બૅન્કના આ રનર્સ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જો ચાલતા રક્ત પહોંચાડવા માટે જાય તો તેમને 15થી 20 મિનિટ જેટલો સમય લાગી શકે છે; જ્યારે સાઇકલ ઉપર આ સમય ઘટીને છ થી સાત મિનિટ જેટલો થઈ જાય છે. બ્લડ બૅન્કના રનર્સ પાસે રક્ત પહોંચાડવા માટે દસ મિનિટ જેટલો સમય હોય છે. સિવિલ હોસ્પિટલની બ્લડ બૅન્કમાં ઇમરજન્સીમાં ઉપયોગી થતું O નેગેટિવ રક્ત, જેને ઘણીવાર ‘યુનિવર્સલ ડોનર’ રક્ત પ્રકાર કહેવામાં આવે છે, જે રક્તદાન માટે એક મહત્વપૂર્ણ રક્ત પ્રકાર છે અને તે કોઈપણ વ્યક્તિને સુરક્ષિત રીતે આપી શકાય છે, તેનો સ્ટોક હંમેશા હાથવગો રાખવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની બ્લડ એક્સપ્રેસમાં જતા રક્તના પાર્સલ ઉપર દર્દીની બધી વિગતો રાખવામાં આવે છે જેથી તેને યોગ્ય જગ્યાએ પહોંચાડી શકાય છે.

સિવિલ હોસ્પિટલમાં ચાલતી આ ‘બ્લડ એક્સપ્રેસ’ દર્દીઓને ખૂબ જ મદદરૂપ બને છે. સાઇકલ જેવા વાહનથી હોસ્પિટલમાં રક્ત પહોંચાડવાની આ પ્રક્રિયા અચરજ પમાડે તેવી છે. સિવિલ હોસ્પિટલની બ્લડ એક્સપ્રેસ દર્દીઓની જીવાદોરી સમાન રક્ત પહોંચાડી સરાહનીય કામ કરી રહ્યું છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches