ભરૂચ તા.૨૭ : વાગરા તાલુકાના લખીગામ ખાતે નવિનિકૃત “અંકુરમ શિશુ વાટિકા”નું ઉદ્ઘાટન તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. આ શિશુ વાટિકા અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટ દ્વારા કોર્પોરેટ પર્યાવરણીય જવાબદારી (CER) હેઠળ નવી રીતે સજાવવામાં આવી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે વાટિકાને “બાલા પેઇન્ટિંગ” દ્વારા રંગબેરંગી અને શૈક્ષણિક દૃશ્યોથી શોભાયમાન બનાવવામાં આવી છે. ડિજિટલ લર્નિંગ માટે LED TV પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આજે યોજાયેલા કાર્યક્રમમાં અદાણી સીમેંટના સેફ્ટિ હેડ ધાર્મિક ગોસ્વામી, સિક્યોરિટી હેડ કૃણાલ પવાર, રોટરી ક્લબ દહેજના પ્રમુખ અતુલ દવે, જીલ્લા પંચાયત સભ્ય સંજયભાઈ ગોહિલ, અંકુરમ ફાઉન્ડેશનના પ્રમુખ રાકેશભાઈ ગોહિલ, અંકુરમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી મેહુલભાઈ ગોહિલ તથા અન્ય ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો, શિક્ષકો, બાળકો, વાલીઓ અને અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી સીમેંટના પ્રતિનિધિએ જણાવ્યું કે, “અંકુરમ શિશુ વાટિકા માત્ર શૈક્ષણિક કેન્દ્ર નહીં, પરંતુ બાળકોના કલ્પનાશક્તિ અને શીખવાની ઉત્સુકતાને પ્રોત્સાહન આપતું એક જીવંત માધ્યમ છે.” કાર્યક્રમમાં ભૂલકાઓને અંકુરમ ફાઉન્ડેશન દ્વારા ગણવેશ તથા સ્કૂલ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા સ્થાનિક સમુદાયમાં શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ બંનેને એકસાથે આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. CER અંતર્ગત આવી પ્રવૃત્તિઓથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અદાણી ગ્રુપનો દ્રઢ સંકલ્પ સ્પષ્ટ થાય છે. અંકુરમ શિશુ વાટિકા હવે ગામના નાનાં બાળકો માટે એક નવી આશાની કિરણ બની રહેશે.